Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરાના લીલેસરા બાયપાસ નજીક ખાનગી એમ્બ્યુલન્સ અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સ ચાલક તેમજ દર્દીનું મોત નિપજ્યું અને એમ્બ્યુલન્સમાં સવાર બે લોકોને ઇજા થઈ હતી.
શહેરા તાલુકાના દલવાડા ગામના કેન્સર પીડિત કમળાબેન પરમાર નામના દર્દીની વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દર્દી કમળાબેનને તેમના પુત્ર અને તેમના પુત્રવધુ ડ્રેસિંગ માટે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે વડોદરા લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગોધરા-વડોદરા હાઈવેના લીલેસરા બાયપાસ નજીક બ્રેકડાઉન કન્ટેનર ટ્રક સાથે એમ્બ્યુલન્સનો અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં એમ્બ્યુલન્સના ચાલક અર્શદ જાબરનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતું. જ્યારે દર્દી કમળાબેનનું ટૂંકી સારવાર દરમિયાન ગોધરાની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. એમ્બ્યુલન્સમાં સવાર દર્દીના પુત્ર મેહુલ વજેસિંહ પરમાર અને પુત્રવધૂ દિનાબેનના માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.